28/03/2026
હુક્કો:
સંકલનઃ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન
હિન્દુસ્તાન ના ઇતિહાસ મા વ્યસન મા મહત્વ ની બે વસ્તુ તંબાકુ અને અફિણ અલગ અલગ સમયે વિદેશ થી આવ્યા.
એમ કહેવાય છે કે ,
સોળમી સદીના ફતેહપુર સીકરીના મુઘલ કચેરી મા પોર્ટુગીઝ વેપારીઓ બ્રાજીલ ની તમાકુ નામની એક નવી વસ્તુ લઈને ભારતમાં આવ્યા હતા.
વિજાપુરના રાજદૂત અસદ બેગે અકબરને આ તમાકુનો પરિચય કરાવ્યો અને અકબરને તેનો સ્વાદ પસંદ પણ આવ્યો.
પરંતુ અકબરના ઈરાની ચિકિત્સક, હકીમ અબુલ ફતહ ગિલાની ચિંતિત હતા કે તમાકુનો સીધો ધુમાડો ફેફસાં માટે હાનિકારક સાબિત થઈ શકે છે.ધુમાડાને શ્વાસમાં લેતા પહેલા પાણીમાંથી પસાર કરવો, જેથી તે 'શુદ્ધ' થઈ શકે બસ, આ જ એ ક્ષણ હતી જ્યારે ભારતના ઐતિહાસિક સામાજિક જીવનમાં *'હુક્કા' * ની ઓળખ થઇ.
કેમ કે ઇરાનીઓ ના ઇતિહાસ મા હુક્કા નો પ્રથમ ઉલ્લેખ મળે છે જેથી કહેવાય કે આ કળા ઇરાન મા પ્રથમ થી જ વિદ્યમાન હતી અને ઇરાની હકીમ અને વેપારીઓએ તેનો પરિચય અકબર અને ભારત ને કરાવ્યો હોઇ,
વળી તંબાકુ ઇરાન ની પહેલા ભારત પહોંચેલી એટલે ઇરાનીઓ અન્ય સ્થાનીક છોડ નો ઉપયોગ ધુમ્રપાન અર્થે કરતા હશે. ઇરાન ના શાહોએ આગળ જતા તમાકુ/ધુમ્રપાન પર ભારે પ્રતિબંધ મુક્યા પણ પાછા ખેંચી લેવા પડ્યા હતા, ૧૮૯૦ મા શાહ નાસીર અલ-દીન એ બ્રિટીશરો ને તંબાકુ ના વેપાર અધીકાર આપી દિધા જેનાથી ઇરાનીઓ તંબાકુ ના વેપાર કરી શકતા નહિ જેથી પ્રજાકિય વિરોધ સાથે તંબાકુ નો બહિષ્કાર થયો હતો શીયા મોલવી આયાતુલા મિર્જા શિરાજીએ એક ફતવો જાહેર કરી અદ્રશ્ય ઇમામ ના વિરોધ નુ નામ આપી તંબાકુ નો બહિષ્કાર કર્યો હતો.આખરે બ્રિટીશ કંપની સાથે કરાર રદ થયેલો
હુક્કો માત્ર ધૂમ્રપાનનું સાધન ન રહ્યો, પરંતુ તે પ્રતિષ્ઠા, શિષ્ટાચાર અને રાજદ્વારી કૂટનીતિનું પ્રતીક બની ગયો,
હુક્કા પાણી બંધઃ હોકાએ સમાજ જીવન મા પણ એવો પ્રવેશ કરી લીધો હતો કે હતો કે સમાજ ના નીયમો થી વિરુધ્ધ વર્તનાર વ્યક્તિ ને સમુહ મા હોકો ના આપી ત્યજી દેવાતો.
શાહજહાંના સમય સુધીમાં તો હુક્કાની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે સોના, ચાંદી અને મીનાકારી વાળા હુક્કાઓ કચેરીઓની શાન વધારવા લાગ્યા.
રાજસ્થાન, પંજાબ, બંગાળ, ઉ.પ્રદેશ, હરિયાણા સહિત ગુજરાત મા પણ હુક્કાએ દબદબાભેર પ્રવેશ કરી લીધો હતો.
અફિણ ખરલ મા વાતરી ને કસુંબો તૈયાર કરવો, ઉભા ગોઠણે કસકસીને પછેડી ની પલોઠી ભીડી ડાયરામલ મુરબ્બીઓ હોકા ગગડાવતા
આવ્ય હોકા દલરંજણા, સેણું સીંધા સેણ,
તુજ વિણ ઘડી ન ચાલતું, મને ઝાંખા લાગે નેણ.’
’આ દુનિયામાં દોઉ વડા, એક હોકોને હાથી,
હાથી તો સોજરો મરળી, હોકો સેલરો સાથી.’
’હોકા વાળા ચઢીયાતા, બીજા હાલે પાળા,
સારું માણસ સાદ કરે, એ આવજે હોકાવાળા.
હોકા નાળીયેર ની કાચલી જેવા કાળા ઝેબ જેવા તેલ ચોપડી રીઢા રખાતા.રૂપાના વાળાથી મેરે-આગળ મોઢું ગૂંથણીમાં બંધાતું અને ગૂંથણીની હેઠે ફરતી સોનાની ઝીણી ઝીણી માછલિયું મૂકી એના કરતા હેઠેના ભાગે રૂપાના કંડારેલ મોર-પોપટ અને રૂપાના વાળની ગૂંથણિયું આવતી. સૌથી હેઠેના હોકાના અણિયાળા ભાગે સુંદર રૂપાની કારીગીરીવાળી પીંછી ચડતી છેક છેલ્લે નીચે ચાર પાંચ કે છ ધારવાળું આંગળીના ટેરવા જેટલું લાંખું બોરડુ
બેસાડતા. આ હોકા ડાયરામાં છત્રીના સળીઆની અને ઉપર સૂતર તથા હીરથી ગૂંથેલ ઘોડી ઉપર રાખતા. ઘોડી ફરતી આવે અને ડાયરો હોકાની ઘૂંટ લેતો આવે.હોકાની બજરના પડાને ખાંડી, ગાળી અને ગોળમાં ચોળીને બજર મેળવતા.
વળી મેઘાણી જુના વાર્તાકારો ની કથનશેલી નુ વર્ણન કરે છે એમ...
' મનસાગરે અડખેપડખેથી આવળીઆં બાવળીઆં લપોટીઆં ઝપોટીઆં વીણી લાવીને ચકમક ઝેગવ્યો. ઈંઘણાંનો દેવતા પડ્યો અને પછી—
' વાલીઆ ગાબુના વાડાની બજર, આછોડીઆ વાડ નો ગળ, મચ્છુની કાંકરી, અને ઉંડ નું પાણી કર્યાં ભેળાં. ચલમ ભરીને એવો દેવતા માંડ્યો કે ચલમ ઊઘી વળે તોય તિખારો ન ઝરે. હોકાની એક બે ને ત્રણ ફુંકુ લાધી ત્યાં તો રાજાની કાયામાં બત્રીસે કોઠે દીવા થઈ ગયા.
૧૮મી સદીમાં જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓ ભારતમાં સ્થાયી થયા, ત્યારે તેઓ પણ હુક્કાના જાદુથી બચી શક્યા નહીં. ૧૭૭૭ માં કલકત્તા આવેલા યુવા અંગ્રેજ વકીલ વિલિયમ હિકીએ પોતાના સંસ્મરણોમાં નોંધ્યું છે કે, સામાજિક વર્તુળમાં હુક્કા વિના ચલાવવું અશક્ય હતું. લોકો એવું માનતા કે રાત્રિભોજન ન મળે તો ચાલે, પણ હુક્કો તો જોઈએ.
આ બ્રિટિશ અધિકારીઓ પાસે પોતાનો એક 'હુક્કાબરદાર' નોકર રહેતો, આ નોકરોનુ કામ માત્ર માલિક માટે હુક્કો તૈયાર કરવાનું અને માલિક ઘોડા પર કે પાલખીમાં યાત્રા કરે ત્યારે હુક્કાની સામગ્રી લઈને સાથે ચાલવાનું હતું.
ચિલમમાં તમાકુ ભરવામાં આવે છે અને તેની ઉપર સળગતો કોલસો મૂકવામાં આવે છે. માટીની બનેલી ચિલમ આ ગરમીને ધીમે ધીમે જાળવી રાખે છે, જેથી તમાકુ એકસરખી રીતે સળગતી રહે. ચિલમ નીચે એક લાકડા કે ધાતુનો સ્તંભ હોય છે, જે ધુમાડાને નીચેના જળાશય તરફ દોરી જાય છે.
હુકા નુ જળાશય જે પહેલા ના સમયમાં નારિયેળની કાચલી માંથી બનતું, અને પાછળથી કાચ તથા બીદરી કળાના ઉત્કૃષ્ટ ધાતુ-પાત્રો સ્વરૂપ ધારણ કર્યું તે પાણીથી ભરેલું હોય છે. ઉપરથી આવતો ધુમાડો આ પાણીમાંથી પસાર થાય છે, ઠંડો પડે છે, અને સ્વચ્છ બને છે. આ જ ક્ષણે એ વિશિષ્ટ "ગુડ-ગુડ" અવાજ ઉત્પન્ન થાય છે એ અવાજ જેણે અંગ્રેજોને "હબલ-બબલ" નામ આપવા પ્રેર્યા. ત્યારબાદ આ ઠંડો ધુમાડો નળી દ્વારા ઉપર ચઢે છે અને મુખપત્ર સુધી પહોંચે છે, જ્યાંથી ઉપયોગ કરનાર શ્વાસ ખેંચે છે.ધુમાડાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમાકુને વારંવાર મધ અને મસાલાઓ સાથે સ્વાદિષ્ટ અથવા મીઠી બનાવવામાં આવતી.
આ સામગ્રી ઐતિહાસીક અને સાંસ્કૃતિક અધ્યન હેતુ છે, ધુમ્રપાન કે કોઇપણ વ્યસન ને પ્રોત્સાહન ન હોવુ જોઇએ.
૧૯મી સદીના અંત સુધીમાં બ્રિટિશરોમાં સિગાર અને સસ્તી સિગારેટના આગમનથી હુક્કાનો જાદુ ઓછો થવા લાગ્યો. આધુનિક યુગમાં તબીબી સંશોધનો અને WHO ના અહેવાલોએ સ્પષ્ટ કર્યું છે કે હુક્કાનું સેવન સ્વાસ્થ્ય માટે સિગારેટ જેટલું જ, બલ્કે તેનાથી પણ વધુ હાનિકારક છે, કારણ કે હુક્કાના એક સત્રમાં શરીરમાં અનેકગણો વધુ ધુમાડો અને ઝેરી તત્વો પ્રવેશે છે.